દેશભરમાં 17 એપ્રિલની Ram Navami નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. રામ મંદિર નિર્માણ બાદ આ પ્રથમ જન્મ જયંતિ ઉજવવામાં આવતી હોવાથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને શ્રી રામ મંદિર ટ્રસ્ટે રામનવમીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે અને 15થી 18 એપ્રિલ સુધી VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય રામનવમી પર ભક્તોએ બીજી ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે. 15 થી 18 એપ્રિલ દરમિયાન ઓનલાઇન પાસ માટે અરજીઓ પણ રદ કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ રામ લલ્લાની જયંતીના અવસર પર પોતાની સાથે મોબાઈલ ફોન ન લાવે.
શ્રી રામ મંદિર ટ્રસ્ટની માર્ગદર્શિકા
ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ રામ મંદિર તીર્થસ્થાને Ram Navami પર ધસારાને ધ્યાનમાં રાખીને કોઈ ખાસ દર્શન પાસ અને આરતી પાસ ન આપવાનો નિર્ણય કર્યો છે. મંદિરે તમામ રામ ભક્તોને એક જ કતારમાંથી દર્શન કરવા વિનંતી કરી છે.
રામનવમીના રોજ રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુ પધારશે
22 જાન્યુઆરીએ મંદિર ખુલ્યા બાદથી દરરોજ સરેરાશ એક લાખ શ્રદ્ધાળુઓ રામ લલ્લાના દર્શન કરે છે. પરંતુ આ વર્ષે રામનવમીના રોજ રેકોર્ડબ્રેક દર્શનાર્થી આવે તેવી શક્યતા છે. રામ મંદિરમાં રામનવમી પર દર્શન માટે આવતા ભક્તોની સુવિધા માટે કેટલીક વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. દર્શન માટે આવતી વખતે કેટલીક સૂચનાઓનું પાલન કરવા પણ તેમને તાકીદ કરવામાં આવી છે.
બ્રહ્મમુહૂર્તમાં રામલલ્લાના દર્શન
રામનવમીના દિવસે બ્રહ્મમુહૂર્ત પર જ દર્શનની કતારમાં ઉભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. રામ લલ્લાની મંગળા આરતી શરૂ થવાના એક કલાક પહેલા ભક્તો દર્શન માટે લાઈન લગાવી શકશે.
અયોધ્યામાં અતિશય ગરમી
અયોધ્યામાં હાલ પારો ચાલીસથી ઉપર છે. દરેક વ્યક્તિને સૂર્યથી પોતાને બચાવવા માટે કાળજી લેવા વિનંતી કરવામાં આવી રહી છે. ભક્તોના પગ તડકામાં બળી ન જાય તે માટે મંદિર પરિસરમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ram Mandir: અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન