દેશમાં ગુનાખોરીને અંકુશમાં લેવા પોલીસ અવનવા પ્રયોગો કરતી રહે છે. પોલીસકર્મીઓની સંખ્યા વધારવા અને ટેક્નોલોજીની મદદથી ગુનાને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત CBI જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ રાષ્ટ્રીય સુરક્ષા અને મોટા ગુનાઓ પર કાર્યવાહી કરે છે. પરંતુ આજે પણ દેશમાં ગુનાઓ કરીને વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પાછા લાવીને સજા આપવી એ સુરક્ષા એજન્સીઓ માટે કોઈ પડકારથી ઓછું નથી. આ માટે ભારતીય એજન્સીઓ ઈન્ટરપોલ સહિત અન્ય વિદેશી સુરક્ષા એજન્સીઓની મદદ લે છે. દેશમાંથી ફરાર થયેલા ગુનેગારો અને ભાગેડુઓની વાપસી માટે હવે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. ગૃહ મંત્રાલય ઈન્ટરપોલની જેમ દેશમાં ‘BHARATPOL’ શરૂ કરવા જઈ રહ્યું છે.
ઇન્ટરપોલ શું છે?
INTERPOL એટલે કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન એ વિશ્વનું સૌથી મોટું ઈન્ટરનેશનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન છે. આ એક એવી સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ દેશોની પોલીસ વચ્ચે સંકલન કરે છે. તે 195 દેશોની તપાસ એજન્સીઓનું સંગઠન છે.
જેના દ્વારા ગુનેગારોની માહિતીની આપ-લે થાય છે અને તેમની ધરપકડ કરવા માટે આંતરરાષ્ટ્રીય નોટિસ જાહેર કરવામાં આવે છે. ભારત તરફથી ઈન્ટરપોલની સાથે CBI જોડાયેલ છે. તેમના અધિકારીઓની ઈન્ટરપોલમાં નિમણૂક કરવામાં આવે છે. ઈન્ટરપોલ સંસ્થા 1923 થી કાર્યરત છે. ઇન્ટરપોલનું હેડક્વાર્ટર ફ્રાન્સના લિયોન શહેરમાં છે.
આ પણ વાંચો – HMPV Virus: વાયરસથી ગભરાશો નહીં, બસ આટલું કરો!
હવે નજર કરીએ સ્વદેશી BHARATPOL પર,
શું છે ‘ભારતપોલ’?
- ‘ભારતપોલ’ નો ઉદ્દેશ્ય માત્ર ગુનેગારોને પકડવાનો જ નથી
- પરંતુ તેમની સામે સમયસર ઝડપી કાર્યવાહી કરવી અને ગુનાઓને જડમૂળથી નાબૂદ કરવાનો છે
- સીબીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ એક એડવાન્સ ઓનલાઇન પોર્ટલ છે
- હાલની પ્રક્રિયામાં રાજ્ય સરકારે પહેલા CBIનો સંપર્ક કરવો પડે છે
- ત્યારબાદ CBI ઈન્ટરપોલનો સંપર્ક કરે છે
- પછી જરૂરી નોટિસ જાહેર કરવાની માગ થાય છે
- આ પ્રક્રિયા માત્ર જટિલ જ નહીં પરંતુ ઘણો લાંબો સમય માંગી લે છે
- આ સમસ્યાના ઉકેલ માટે જ ‘ભારતપોલ’ શરૂ કરવામાં આવ્યું
આ પોલ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ગુનેગારો અને વિદેશ ભાગી ગયેલા ગુનાઓ વિશે ઈન્ટરપોલ પાસેથી માહિતી મેળવી શકશે. ઇન્ટરપોલ ઉપરાંત અન્ય દેશોની તપાસ એજન્સીઓને પણ જોડી શકાય છે.