Monday, 23 Jun, 2025
spot_img
Monday, 23 Jun, 2025
HomeRELIGIONએક હજાર વર્ષ જુના ડભોડિયા હનુમાનજી મંદિરનું જાણો પૌરાણિક મહત્વ

એક હજાર વર્ષ જુના ડભોડિયા હનુમાનજી મંદિરનું જાણો પૌરાણિક મહત્વ

ડભોડા હનુમાન, ગાંધીનગર જિલ્લામાં આવેલું પ્રખ્યાત મંદિર છે. આ મંદિર અમદાવાદથી 29 કિલોમિટરના અંતરે આવેલું છે, અહીં પહોંચવા માટે 50 મિનિટ જેટલો સમય લાગે છે. તો આવો આજે આપને લઇ જઇએ ડભોડાના હનુમાનજીના દર્શને.

Share:

મનોજવમ્ મારુતતુલ્યંવેગમ્ જિતેન્દ્રિયમ્ બુધ્ધિવતામવરિષ્ઠમ્ વાતાત્મજમ્ વાનરયૂથમુખ્યં શ્રીરામદૂતમ્ શરણંપ્રપદ્યે

ડભોડા હનુમાન, ગાંધીનગર જિલ્લામાં આવેલું પ્રખ્યાત મંદિર છે. આ મંદિર અમદાવાદથી 29 કિલોમિટરના અંતરે આવેલું છે, અહીં પહોંચવા માટે 50 મિનિટ જેટલો સમય લાગે છે. તો આવો આજે આપને લઇ જઇએ ડભોડાના હનુમાનજીના દર્શને.

જ્યારે કોઈ રસ્તો ન જડે અને ત્યારે જે રસ્તો બતાવે છે તે જ છે સંકટમોચન બાળ બ્રહ્મચારી હનુમાન દાદા. હજારો વર્ષોથી ગાંધીનગરના ડભોડા ગામમાં સ્થિત શ્રી ડભોડા હનુમાનજી ભક્તોની રક્ષા માટે હાજર છે. ડભોડા હનુમાન આસ્થાનું પ્રતિક છે. શ્રધ્ધા અને અતૂટ કેન્દ્ર અને ચમત્કારની અવતરિત ગાથા જેનાથી કરોડો ભક્તો જોડાયેલા છે. કલિયુગ પણ જાગૃત હનુમાનજી જાણે ડભોડામાં વાસ કરી ધરતી માતાની પાપ અને
સંકટથી રક્ષા કરી રહ્યા છે. રામ ભક્ત હનુમાનની આ પાવન ભૂમિ પર રામ નામ જાપ કણ કણમાં સંભળાય છે. ડભોડા હનુમાનજીનું આ મંદિર સ્વયંભૂ હોવાની સાથો સાથ દક્ષિણાભિમુખ હોવાથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

એટલું જ નહીં આ આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા પણ એટલી જ રસપ્રદ છે. મુગલોએ સમગ્ર હિન્દુસ્તાનમાં કોહરામ મચાવ્યો હતો. અલાઉદ્દીન ખિલજીએ આચનક પાટણના રાજા પર હુમલો કર્યો હતો ત્યારે રાજા એ ડભોડામાં આસરો લીધો હતો. તે સમયે આ સ્થળે માત્ર ગાઢ જંગલો હતા. જે દેવગઢ જંગલના નામે ઓળખાતા હતા. રાજાએ જ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સમય જતાં આ જંગલમાં લોકોએ વસવાટ કર્યો. મંદિરની ફરતે આખું ડભોડા ગામ વિકસીત પામ્યું.

અંગ્રેજ શાસને પણ ડભોડા હનુમાનજીના ચમત્કારને નમસ્કાર કર્યું છે. અંગ્રેજ શાસન દરમિયાન ડભોડા જે નદીના કિનારે સ્થિત છે તે ખારી નદી પર રેલવે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. બ્રિજ પરથી પહેલી વાર જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન મધ્યમાં આવીને અટકી ગઈ. અંગ્રેજ શાસકોના અનેક પ્રયાસ બાદ પણ ટ્રેન આગળ ન વધી. આ પરિસ્થિતિમાં અડધા વિશ્વ પર રાજ કરનાર અંગ્રેજી શાસકોના એન્જિનિયર પણ ટ્રેનનું પૈડું જરા પણ હલાવી ન શક્યા. ગામના લોકોએ અંગ્રેજી અધિકારીઓને એક સલાહ આપી કે હનુમાનજીને તેલ ચઢાવવાની માનતા રાખશે તો ટ્રેન જરૂર આગળ વધશે. ચમત્કારિક રૂપે આ વાત સાચી સાબિત થઈ. અધિકારીઓએ તેલની માનતા રાખી અને ટ્રેન આગળ વધી. અંગ્રેજોના શાસનથી લઈને આજદિન સુધી ભારતીય રેલવે દર વર્ષે હનુમાનજીને તેલ ચઢાવે છે. મુગલોનું સામ્રાજ્ય ક્યારનું પૂરું થયું. અંગ્રેજી શાસનનું હવે નામ શેષ નથી. પરંતુ લોકોમાં ડભોડિયા હનુમાનજી પ્રત્યે આસ્થા આજે પણ અતૂટ છે.

હનુમાનજી પ્રાકૃતિક સંકટોમાંથી પણ ભક્તોની રક્ષા કરતાં આવ્યા છે. આ રામ ભક્તની સામે સ્વયં પ્રકૃતિ માતા પણ નતમસ્તક રહે છે. સરહદો પારથી જ્યારે કરોડો તીડ એકસાથે ઉડીને આવી જાય છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. દેશની રક્ષામાં તૈનાત સેનાના જવાન અનેક દુશ્મનો અને આતંકીઓનો ઠાર કરે છે. પરંતુ કુદરતી આપદા સામે કેવી રીતે લડી શકાય. તીડ પર ગોળી પણ અસર ન કરે. જ્યારે આ તીડ હુમલો કરે છે ત્યારે ધરતીપુત્રોની ઊંઘ હરામ થઈ જાય છે. પાકને બચાવવા માટે દિવસ રાત એક કરી નાખે છે. પરંતુ જ્યાં સંકટમોચક સાક્ષાત બિરાજમાન હોય ત્યાં સમસ્યા પણ પોતાનો રસ્તો બદલી લે છે, એવું જ સ્થાન છે ડભોડા હનુમાન મંદિર. કહેવાય છે કે ડભોડા ક્ષેત્રને શ્રી જુગલદાસ મહારાજજીનો આશીર્વાદ પ્રાપ્ત હતો. આ ક્ષેત્રમાં ખેડૂતોને નુકસાન પહોંચાડતા તીડ ક્યારેય નહીં આવે. ડભોડા હનુમાન મંદિરના મહંત રહેલા સ્વર્ગસ્થ શ્રી જુગલદાસ મહારાજજીના આશીર્વચનથી આજે પણ સ્વયં હનુમાનજી ક્ષેત્રના ખેડૂતો પર આવતી તીડની મુસીબત સામે રક્ષણ આપે છે.

આજે પણ મહા વદ છઠ્ઠના દિવસે ડભોડા ગામે શ્રી જુગલદાસજીની શ્રદ્ધાંજલિ સ્વરૂપ સ્વયંભૂ બંધ રાખવાની પરંપરા બની ચૂકી છે. આ દિવસે ભવાની છઠ્ઠની ઉજવણી કરવામાં આવે છે. મંદિરના નિર્માણને હજારો વર્ષ થઈ ગયા છે. મંગળવાર અને શનિવારના દિવસે હજારોની સંખ્યામાં દર્શનાર્થી આવે છે. હનુમાનજીને પ્રસાદમાં સુખડીનો ભોગ ચડાવવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જે દિવસે લાખો ભક્તો હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જો આપ હનુમાન ભક્ત હોવ, આપને હનુમાન ભક્તિમાં વિશેષ રૂચિ હોય, તો એકવાર આ ડભોડિયા હનુમાનજીના દિવ્ય દર્શન કરવાનો લાભ અવશ્ય લેજો.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments