અરબ સાગર પાસે આવેલું જામનગર શહેર કચ્છની ખાડીના દક્ષિણમાં છે. Jamnagar નું નિર્માણ જામસાહેબે 1540માં કરાવ્યું હતું. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર તરીકે ઓળખાય છે, તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. જામનગરી સૂકી કચોરી અને બાંધણીના રંગોથી પ્રખ્યાત જામસાહેબના શહેરમાં હાલ તો ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે.
ગુજરાતની જામનગર લોકસભા બેઠક પર ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે. પી. મારવીયા વચ્ચે સીધો મુકાબલો છે. લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે જામનગર બેઠક માટે બે ટર્મથી સાંસદ તરીકે કાર્યરત પૂનમબેન માડમને સતત ત્રીજી વખત ઉમેદવાર તરીકે પસંદ કરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2014ની ચૂંટણીમાં તેઓ કૌટુંબીક કાકા વિક્રમભાઇ માડમ સામે અને 2019ની ચૂંટણીમાં મુળુભાઇ કંડોરીયા સામે ભવ્ય રીતે ચૂંટણી જીત્યા હતા. આથી ભાજપે તેમને હેટ્રીક નોંધાવવા તક આપી છે. તો કોંગ્રેસે જે.પી મારવિયાને ટીકિટ આપીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સાંકળતા મતદારોના મત અંકે કરવાનો નિર્ણય કર્યો છે. આથી અહીં પાટીદાર V/S આહિરનો જંગ જોવા મળશે.
Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ્ઞાતિ સમીકરણ પર નજર કરવામાં આવે, તો પાટીદાર સમાજ તથા આહીર સમાજની બહુ મોટી વસ્તી છે. જ્ઞાતિ સમીકરણોના રાજકીય એન્કાઉન્ટરના ભાગરૂપે ભાજપના આહીર ઉમેદવારની સામે કોંગ્રેસે પાટીદાર ફેકટરની પસંદગી કરી છે. જામનગર લોકસભા વિસ્તારમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, જામખંભાળિયા અને દ્વારકા વિધાનસભા ક્ષેત્રો આવે છે. હાલ જામજોધપુર વિધાનસભા બેઠક સિવાય તમામ બેઠકો ભાજપ પાસે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર વિધાનસભા બેઠક પરથી હેમંત ખવા આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી અહીં જીત્યા હતા.
હાલાર બેઠક તરીકે ઓળખાતા જામનગરનો રાજકીય ઇતિહાસ જોઈએ તો જામનગર લોકસભા વિસ્તારમાં એક સમયે કૉંગ્રેસનો દબદબો હતો. 1952થી કૉંગ્રેસે અહીં 8 વખત જીત મેળવી છે.2004માં વિક્રમ માડમે અહીંથી કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી. 2009માં પણ વિક્રમ માડમ જ જીત્યા જોકે 2014માં આ બેઠક પૂનમ માડમે તેમના કાકા વિક્રમ માડમ પાસેથી છીનવી લીધી હતી.