શું ભારત-પાકિસ્તાન મેચને લઈને તમે ખુબ ઉત્સાહી છો? પણ જોજો હો ક્યાંક છેતરાઈ ના જાવ… ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટને લઈને પડાપડી થઇ રહી છે ત્યારે ડુપ્લીકેટ ટિકિટ બજારમાં ફરતી થઇ હતી. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી અને ટીકીટો કબજે કરી છે.
14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે.ત્યારે એ મેચ જોવા ક્રિકેટ રસિયાઓ કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે. બસ આજ વાત નો લાભ ઉઠાવી 4 વ્યક્તિઓએ લોકોને છેતરી પૈસા કમાવાની લાલચે લાખો રૂપિયાની 200 નકલી ટિકિટોનું સામ્રાજ્ય ફરતું કર્યું હતું.પરંતુ ઓરીજનલ ટિકિટ ખરીદેલ વ્યક્તિએ જયારે આ ટિકિટ ખરીદી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ICC મેન્સ વર્લ્ડ કપની નકલી ટિકિટ વેચનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં જૈમિન પ્રજાપતિ મુખ્ય આરોપી છે. તેણે કુશ મીના અને રાજવીર ઠાકુર સાથે મળીને ડુપ્લિકેટ ટિકિટો છાપી હતી. તેમની પાસેથી 150 ટિકિટો જપ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત તેઓએ 50 લોકોને આ ટિકિટો વેચી છે. જેનાથી ત્રણ લાખ રૂપિયાની કમાણી પણ કરી છે. જોકે, આ મામલે પોલીસ વધુ તપાસ કરી છે. ભારત-પાકિસ્તાન મેચની ૧૫૦ જેટલી નકલી ટિકીટો તથા ટીકીટ બનાવવાના સાધન-સામગ્રી સાથે ક્રાઇમબ્રાન્ચ દ્રારા પકડવામાં આવેલ ચારેય આરોપીઓના કોર્ટે 3 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભારત-પાકિસ્તાનની મેચને લઈ ક્રિકેટ રસિકોમાં સ્ટેડિયમમાં જઈને મેચ જોવાની ઘેલછા હોય છે. પરંતુ કેટલાક લોકો આ ઘેલછાનો લાભ ઉઠાવી કાળાબજારી કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર કેટલાક શખ્સોએ બનાવટી ટિકિટો વેચીને લોકોને છેતરાવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે હાલમાં પોલીસે આરોપીઓને ઝડપીને 150થી વધુ ડુપ્લિકેટ ટિકિટ કબ્જે કરી હતી.ટિકિટને લઈને એવી કાળાબજારી ચાલી રહી છે કે બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં જ્યારે 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ 14 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાનની બહુપ્રતિક્ષિત મેચ માટે 14,000 ટિકિટો જાહેર કરવાની જાહેરાત કરી હતી. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં પ્રશંસકોની ગેરહાજરી પર પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ બીજી તરફ, ભારત-પાક.મેચની ઉત્સુકતાને લઈ વધારાની ટિકિટ વેચવાનો નિર્ણય લેવાયો હતો. ક્રિકેટ ફિવરે માઝા મુકી છે. મેચોનો મહાકુંભ શરૂ થતા ટિકિટના કાળાબજારીયાઓ પણ સક્રિય થઈ ગયા છે.અને થોડા લોકો ભોગ પણ બની ગયા.ત્યારે શીખવાનું એ છે કે વધુ પડતી ઉત્સુકતા છેતરપિંડીનો ભોગ પણ બનાવી શકે છે.