રાજ્ય સરકારે આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ જ રાજ્યના પોલીસ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ કર્મચારીઓ માટે રૂપિયા 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે રચેલી સમિતીની ભલામણોને સરકારે માન્ય રાખીને આ પગાર વધારાનો નિર્ણય કર્યો છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી માહિતી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CM સાથે બેઠક કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, અને મુખ્યમંત્રીએ ખુદ તેની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીની જાહેરાત બાદ પોલીસબેડામાં હર્ષની લાગણી ફરી વળી હતી. ગૃહરાજ્યસમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓને મીઠાઇ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. તો સુરત, વડોદરા, ગાંધીનગરના પોલીસ કર્મીઓએ ગરબા રમી અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
મહત્વનું છે આઝાદી બાદ આ સૌથી વધુ ભથ્થા વધારાની જાહેરાત છે. જાહેરાત સમયે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત મુલાકાતે હતા ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં પોલીસ કર્મચારીઓએ પરિવાર સાથે ઉજવણી કરી હતી.
પોલીસકર્મીઓના હિતમાં લેવાયેલા આ નિર્ણયને વિપક્ષે માત્ર ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો અને કહ્યુ કે સરકારે પોલીસકર્મીઓને માત્ર લોલીપોપ આપી છે, તેમના ગ્રેડ-પેની માગને તો પૂરી નથી જ કરી.
પોલીસકર્મીઓનો કેટલો પગાર વધ્યો?
સંવર્ગ હાલનો પગાર નવો પગાર વધારો
લોકરક્ષક ૨,૫૧,૧૦૦ ૩,૪૭,૨૫૦ ૯૬,૧૫૦
પોલીસ કોન્સ્ટેબલ ૩,૬૩,૬૬૦ ૪,૧૬,૪૦૦ ૫૨,૭૪૦
હેડ કોન્સ્ટેબલ ૪,૩૬,૬૫૪ ૪,૯૫,૩૯૪ ૫૮,૭૪૦
ASI ૫,૧૯,૩૫૪ ૫,૮૪,૦૯૪ ૬૪,૭૪૦
શું છે પોલીસ કર્મીઓની માગ ?
પોલીસ કોન્સ્ટેબલને રૂ.૨,૮૦૦ ગ્રેડ-પે
પોલીસ હેડ કોન્સ્ટેબલને રૂ.૩,૬૦૦ ગ્રેડ-પે
એ.એસ.આઈ.ને રૂ.૪,૨૦૦ ગ્રેડ-પે આપવો
ફરજના કલાકો નક્કી કરવા
બીજા વિભાગોની જેમ યુનિયનની માન્યતા